બીરબલની ચતુરાઈથી ખુશ થઈ અકબર બાદશાહે તેને નોકરીએ રાખી લીધો.
થોડા જ સમયમાં બીરબલ બાદશાહનો માનીતો માણસ બની ગયો. તેથી બીજા દરબારીઓ
બીરબલની ઇર્ષા કરતા.
એક વખત બીમારીને કારણે બીરબલ ચાર-પાંચ દિવસ રજા પર હતો. ત્યારે
ઇર્ષાખોર દરબારીઓને બાદશાહ પાસે ચુગલી કરવાનો મોકો મળી ગયો. તેમણે અકબર
બાદશાહને કહ્યું કે તમે બીરબલને ખોટો ચડાવી દીધો છે. કાજી પણ બીરબલ જેટલાં જ
ચતુર છે, તો તમે બીરબરની જગ્યાએ કાજીને દીવાનની પદવી આપો. બાદશાહ
દરબારીઓની ઇર્ષા સમજતા હતા. તેમ છતાં તેમણે તેનું માન રાખવા કહ્યું, ‘ભલે,
હું અત્યારથી જ કાજીને બીરબલની જગ્યાએ રાખું છું,‘ એમ કહી અકબર બાદહશાહે
કાજીને કહ્યું, ‘કાજી, મહેલની છેવાડે રોજ રાત્રે કૂતરાનાં બચ્ચાંનો અવાજ
આવે છે ! તો તમે ત્યાં જઈ તપાસ કરો કે ત્યાં શું છે ?‘
બાદશાહના હુકમ પ્રમાણે કાજી તપાસ કરીને પાછા આવ્યાં. તેમણે બાદશાહને
કહ્યું, "હજૂર! આપના મહેલની પછવાડે એક કૂતરી વિયાણી છે અને તેનાં બચ્ચાં
ચૂં ચૂં કરે છે તેનો અવાજ તમને રાત્રે સંભળાય છે."
"કૂતરીએ કેટલાં બચ્ચાંને જન્મ આપ્યો છે ?" બાદશાહે પૂછયું એટલે
કાજીએ કહ્યું, ‘મેં બચ્ચાં કેટલાં હતાં તે ગણ્યાં નહોતાં.‘ કાજી ફરીથી
બચ્ચાં ગણવાં ગયા અને પાછા આવી કાજીએ કહ્યું, "સારું પાંચ બચ્ચાં છે તેમાં
નર બચ્ચાં અને માદા બચ્ચાં કેટલાં છે?"
"હજૂર તે મેં નથી જોયું, ભલે ફરીથી હું જોઈને આવું અને તમને જણાવું."
એમ કહી કાજી ગયા. પાછા આવીને તેમણે જવાબ આપ્યો, "હજૂર, બે બચ્ચાં નર છે
અને ત્રણ બચ્ચાં માદા છે."
"સારું, તો તે માદા અને નર બચ્ચાં કેવા કેવા રંગના છે તે કહો."
બાદશાહે કાજીને કહ્યું, કાજીએ કહ્યું, "હજૂર, મેં રંગ તો યાદ નહોતો રાખ્યો.
હવે ફરીથી હું જોઈને આવું અને કહું છું કે ગલુડિયા કેવા કેવા રંગના છે!"
એમ કહી કાજી જતા હતા તેમને રોકી બાદશાહે કહ્યું, "કાજી, હવે રંગ જોવા જવાની
જરૂર નથી. બીરબલને બોલાવો."
બાદશાહે બીરબલને બોલાવવાનો હુકમ કર્યો, એટલે બીરબર હાજર થયો. બાદશાહે
બીરબલને કહ્યું, "બીરબલ, મહેલની પછવાડેથી રોજ રાત્રે કૂતરાનાં બચ્ચાંનો
અવાજ આવે છે. તું જઈને તપાસ કરીને આવ કે શી બાબત છે ?"
"જી હજૂર." એમ કહી બીરબલ તપાસ કરવા ગયો. થોડીવાર પછી પાછા આવી તેણે
બાદશાહને કહ્યું, "હજૂર, મહેલની પાછળ એક કૂતરીએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો
છે. તેમાં બે બચ્ચાં લાલ રંગના નર ગલૂડિયા છે. જ્યારે ત્રણ બચ્ચાં કાળાં
અને સફેદ ટપકાંવાળાં માદા ગલૂડિયાં છે. તે ગલૂડિયા રાત્રે અવાજ કરી તમારી
ઊંઘમાં ખલેલ પાડે છે. મેં સંત્રીને કહી દીધું છે તે કૂતરી તથા ગલૂડિયાંને
તમારા મહેલથી થોડે દૂર સારી જગ્યામાં રાખી આવશે જેથી તમને રાત્રે ખલેલ ન
પડે."
બીરબલનો જવાબ સાંભળી અકબર બાદશાહે ઇર્ષાખોર દરબારીઓ સામે જોઈ કહ્યું,
"તમારા હોંશિયાર કાજી ચાર ધક્કા ખાઈને આવીને જે કામ ન કરી શક્યા તે કામ
બીરબલે એક જ વાર જઈને કરી દીધું ! હવે તમારે કંઈ કહેવું છે?" ઇર્ષાખોર
દરબારીઓનાં મોઢાં શરમથી ઝૂકી ગયાં.
એક હતું જંગલ.જંગલમાં એક સિંહ હતો.આ સિંહને પોતાની તાકાતનું બહુ
અભિમાન હતું.સિંહ જયારે પાણી પીવા જાય ત્યારે બધાં પશુ પક્ષીઓ એક ખસી જાય.
એક દિવસ આ જંગલમાં એક મચ્છર કયાંક થી ફરતો ફરતો આવી ગયો.આ મચ્છર પણ
પોતાની જાતને તીસમારખાં સમજતો હતો.સાંજ પડી એટલે સિંહને પાણી પીવા માટે
આવવાનો સમય થયો.
એક ચકલી બોલી,‘મચ્છરભાઈ જંગલના રાજા સિંહ પાણી પીવા આવવાના છે.તમે
એકબાજુ શાંતિથી બેસી જાવ,નહીંતર તમારા પર ખિજાશે.તમને સજા કરશે.’ ચકલીની
વાત સાંભળીને મચ્છરને હસવું આવ્યું. તેણે ચકલીને કહ્યું,‘હું કોઈનાથી
બીતો નથી.’બીવા પશુ પક્ષીઓએ પણ આ સાંભળ્યું.બધાંને થયું કે આજે મચ્છરનું
આવી બનવાનું.થોડીવાર થઈ એટલે સિંહ આવતો દેખાયો,પણ મચ્છરે તો અહીંથી ત્યાં
ઊડવાનું અને ગણગણવાનું ચાલુ રાખ્યું.
સિંહ મચ્છરને જોઈને ખિજાયો.તેણે મચ્છરને કહ્યું, ‘અલ્યા એય જોતો નથી,હું આ જંગલનો રાજા છું’
‘હું તને રાજા નથી માનતો.તારા જેવા તો બહુ જોયા.લડવું હોય તો આવી
જા.’ગુસ્સામાં હતો તો પણ સિંહ હસી પડ્યો.તે બોલ્યો,‘અલ્યા મગતરા,તને તો
હુ ચપટીમાં ચોળી નાખીશ.’
મચ્છર બોલ્યો,‘એવું હોય તો થઈ જા તૈયાર.’એમ કહીને મચ્છરે તો એકદમ
સિંહના નાક પર જઈને ચટકો ભર્યો.સિંહ બરાડી ઊઠયો.મચ્છરને પકડવા માટે પંજા
આમતેમ વીંઝવા માંડયો.પણ મચ્છર તો સિંહને ઘડીકમાં ત્યાં કરડવા માંડયો.સિંહ
સમજી ગયો કે મચ્છર આગળ પોતાનું કંઈ નહીં ચાલે.એ ઊભી પૂંછડીએ ભાગી
ગયો.બધાં પશુપક્ષી મચ્છરને ઘેરી વળ્યાં.
મચ્છર કહે,‘આજથી હું તમારો રાજા.જે મને માન નહીં આપે તેની હાલત
સિંહથી પણ વધુ ભૂંડી કરીશ.’બધાં કહે,‘ભલે નામદાર. આજથી તમે કહેશો તેમ
કરીશું.’
મચ્છરની છાતી આ સાંભળીને ગજગજ ફૂલવા માંડી. પોતે જંગલનો રાજા બની
ગયો છે એ આનંદમાં તે ઊડ્યો,પણ થોડી જ વારમાં એક કરોળિયાના જાળામાં ફસાઈ
ગયો.જાળામાંથી છટકવા તેણે બહુ ફાંફા માર્યા, પણ નીકળી શકયો નહિ.થોડીવારમાં
કરોળિયો ત્યાં આવી પહોંચ્યો.તેણે મચ્છરને મારી નાખ્યો.
બહુ બડાશ હાંકનારની આવી જ દશા થાય. શેરને માથે શવા શેર હોય જ.
એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા.
ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે
એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ.
તેથી ખેડૂત હંમેશાં ચિંતાતુર રહેતો. આ છોકરાઓ સંપીને રહે તે માટે કશુંક
કરવું જોઈએ. એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાઓને
પોતાની પાસે બોલાવી કહ્યું, ‘‘જુઓ, આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા
વિના તમારામાંથી આખી ભારી કોણ તોડી શકે છે? ’’
ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે
ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી
ન શક્યો.
પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું, ‘‘ચાલો, લાકડાની ભારી છોડી નાખો અને તેની
લાકડી એક પછી એક તોડી નાખો.’’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને
સરળતાથી તોડી બતાવી.
પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું, ‘‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે
તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત
હતી. તમે પાંચેય જણ પણ સંપથી રહેશો તો મજબૂત બનશો. પરંતુ લડી-ઝઘડીને અલગ
અલગ રહેશો તો કમજોર બનશો.’’
સંપ ત્યાં જંપ
|
|
|
|
|